- Aug 27, 2026
- Viren S Doshi
Featured Articles
ભારત વિભાજનનું પાપ કોણે કર્યું? અખંડ ભારતની પુનઃસ્થાપના કોણ કરશે?
(ભારત વિભાજન માટે ભારતમાં મોટે ભાગે કોંગ્રેસના નેતૃત્વને ઉત્તરદાયી માનવામાં આવે છે અને તેમાં ઘણું તથ્ય પણ છે. પરંતુ એમ કરવામાં વિભાજનના પાપના મુખ્ય કર્તાઓ પરથી ધ્યાન હટી જાય છે. અહીં એ મુખ્ય પાપીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તથ્યો પર આધારિત સંશોધનાત્મક અને વસ્તુપરક વિશિષ્ટ મૌલિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.) ભારત / ભારતીય ઉપખંડના કરુણ વિભાજનમાં મુસ્લિમ અને અંગ્રેજ આક્રાંતાઓની કૂટનીતિ અને રણનીતિનું ભારતીય દૃષ્ટિકોણથી વસ્તુપરક વિશ્લેષણ છેલ્લા લગભગ ૧૩૦૦ વર્ષોથી જેહાદના ભાગ રૂપે મુસ્લિમ આક્રાંતાઓ ભારત અર્થાત્ ભારતીય ઉપમહાદ્વીપ પર આક્રમણ કરતાં રહ્યાં છે. તેનો સતત અને તીવ્ર પ્રતિકાર ભારતના શાસકો અને પ્રજાજનો સ્વયંભૂ રીતે કરતાં રહ્યાં છે. આ ૧૩૦૦ વર્ષોના કાલખંડ પૈકી વર્તમાન ભારતના સ્વાતંત્ર્ય પૂર્વેના છેલ્લા લગભગ ૨૦૦ વર્ષોના સમયગાળાની ઘટનાઓ આપણા માટે વિશેષ બોધ આપનારી છે. મુઘલ મુસ્લિમ આક્રાંતાઓના પતન પછી ૧૭૫૭માં પ્લાસીની લડાઈના અંતે ભારતમાં ૬૦૦ જેટલા રજવાડાં હતાં તેમાં માત્ર ૧૫% જેટલા રજવાડાં જ મુસ્લિમ આક્રાંતાઓના અનધિકૃત કબજામાં હતાં. ૮૫%થી પણ વધુ રજવાડાં હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, શાકત, પ્રકૃતિપૂજક ઈત્યાદિ શાસકો દ્વારા શાસિત હતાં. એટલે એક રીતે એમ કહી શકાય કે મુઘલ સમયમાં ચરમ પર પહોંચેલ મુસ્લિમ આક્રાંતાઓનો દોર આ સમયે સમાપ્ત થવાના આરે હતો. બ્રિટિશ અર્થાત્ ગોરા ઉપનિવેશવાદીઓનું અનધિકૃત રાજ આવવાનું પ્રારંભ થયું ત્યારે અને તેમના સમગ્ર સમયમાં મુસ્લિમ આક્રાંતાઓના અનધિકૃત કબજામાં બહુ ઓછો ભૂભાગ હતો. તો જેહાદના નામે ભારતમાં “પાકિસ્તાન”ની આ માનવતા વિરોધી “મુઘલ રાજ”ની ભૂતાવળ પુનઃ કેવી રીતે ઉભી થઈ ગઈ? આ પ્રશ્ન સમજવા જેવો છે. એ જ પ્રશ્નનો બીજો છેડો એ છે કે ભલે ભારતમાં વસતા મુસ્લિમો આ ભૂમિમાં રહેતા હોય પણ તેઓ આ ભૂમિને કેવી રીતે જુએ છે? શું તેમના માટે આ ભૂમિ માતૃભૂમિ કે માદરે-વતન છે કે દારુલ હર્બ એટલે કે જેની સામે જેહાદી યુદ્ધ કરીને તેને જીતી લઈને પછી તેને બળપૂર્વક ઈસ્લામના છત્ર હેઠળ લાવવાની ભૂમિ છે? અને અહીં રહેતાં મોટા ભાગના મુસ્લિમોના પૂર્વજો અહીંના જ હતાં (મોલેસલામ ક્ષત્રિય હતાં, ખોજા લોહાણા હતાં, મેમણ કણબી હતાં, ઘાંચી તેલી હતાં, રંગરેજ છીપા હતાં, હજામ વાળંદ હતાં, ઝરગર સોની હતાં, મન્સુરી સુથાર હતાં, સૈફી લુહાર હતાં, અન્સારી વણકર હતાં, વોહરા બ્રાહ્મણ કે પટેલ હતાં) તેમ છતાં અને વિશ્વના અન્ય મુસ્લિમો તેમને હિંદી કે હિન્દુસ્તાની મુસ્લિમ કહે છે અને આરબ મુસ્લિમો (કે જેઓ વિશ્વના પહેલાં મુસ્લિમો બન્યાં) તેઓ તેમને ઉતરતા ગણીને તેમને આરબ દેશોની નાગરિકતા આપવાની તો વાત જવા દો પણ તેમને કામ કરવા પણ આરબ દેશોમાં આવવા દેવા માંગતા નથી (અરે… ૮૦ વર્ષથી તેમણે જ બનાવેલ પાકિસ્તાનમાં તેમને મોહાજીર કહીને પ્રતાડિત કરવામાં આવે છે) તો પણ તેઓ ભારત કે જ્યાં તેમના બધાં જ ૭૨ ફિરકાઓ સુખેથી રહે છે તે ભારત પ્રત્યે તેઓ એકનિષ્ઠ કેમ થઈ શકતાં નથી?! ભારતીય ઉપખંડમાં વસતા મુસ્લિમોને મુસ્લિમ તરીકે ભારતની સ્વતંત્રતાની ચિંતા હતી ખરી? ભારતના ૧૭૫૭થી ૧૮૫૭ સુધીના ૧૦૦ વર્ષોના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગણ્યાંગાંઠ્યા મુસ્લિમોએ ભાગ લીધો હતો, જ્યારે અધિકાંશ મુસ્લિમો તેમના દ્વારા બળપૂર્વક કબજે લીધેલ ભારતમાંના રાજ્યો બચાવવા માટે લડતાં હતાં. કેટલાંક તો તેમનામાં સામાજિક સુધાર કે ઈસ્લામી કટ્ટરતા જેવા કારણોથી પણ લડતાં હતાં. સ્વતંત્રતા માટેની લડાઈ મહદ્અંશે ભારતીય મૂળના હિંદુ , બૌદ્ધ, જૈન, શીખ, પ્રકૃતિપૂજક અને ભારતમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયેલ સમુદાયો દ્વારા જ લડાતી હતી. મુસ્લિમોની સ્થિતિ અને લડાઈમાં તેમનો નગણ્ય સહભાગ જોતાં ભારતને ખંડિત કરી તેઓ પુનઃ મુઘલ રાજની જેમ અલગ દેશ કબજે કરી લે તેવી વાત કોઈને સ્વપ્નમાં પણ સ્વીકાર્ય નહોતી. અને ભારતીયોના લોહી પસીનાથી સિંચાયેલ સ્વતંત્રતા ચળવળનો આવો વરવો વિઘાતક અંત આવશે તેવું કોઈએ કલ્પનામાં પણ વિચાર્યું નહોતું. એ પણ ઓછું જાણીતું તથ્ય છે કે ૧૯૪૭માં ભારતીય ઉપખંડમાં આક્રાંતા મુસ્લિમ શાસકોના કબજામાં જેટલી ભૂમિ હતી તેનાથી બમણીથી પણ વધુ ભૂમિ “પાકિસ્તાન”ના નામે મુસ્લિમોને આપી દેવામાં આવી. જાણે કે પરાજયને છેડે ઊભેલ મૃતઃપ્રાય "મુઘલ રાજ" પાકિસ્તાનના નામે પુનઃ જીવતું કરી દેવામાં આવ્યું. અને તેમ છતાં બહુ ઓછા મુસ્લિમો ભારતમાંથી પાકિસ્તાન ગયા અને મોટા ભાગના ભારતીયો પાકિસ્તાનથી ક્રમશઃ ભારત આવવા વિવશ થયા. બગાસું ખાતાં પતાસું મળી જાય તેમ હિંસક હુલ્લડોનો જેહાદી "ખેલ" કરતાં કરતાં જેહાદીઓ દ્વારા છેવટે ૧૯૪૭માં ૯.૫ લાખ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતો ભૂભાગ “પાકિસ્તાન”ના નામે ઝૂંટવાઈ ગયો. આવું કેવી રીતે થયું તે પ્રત્યેક ભારતીયે સમજી લેવું જોઈએ. ભારતના વિભાજનના મુખ્ય કારણો મુસ્લિમ જેહાદીઓની ઉપરાઉપરી ઘાતક રકતરંજિત હુલ્લડોની (અ)નીતિ અને બ્રિટિશ ગોરા ઉપનિવેશવાદીઓની જેહાદને ટેકો પૂરો પાડતી કૂટનીતિ અને વામપંથી તત્ત્વો દ્વારા જેહાદીઓ સાથે ગઠબંધન - અહીં કરેલ વિશ્લેષણ અનુસાર આ કારણો વિભાજનના મુખ્ય કારણો રહ્યાં. વધુમાં, આપણા તત્કાલીન નેતૃત્વમાં મુસ્લિમો અને અંગ્રેજો વિશે ભ્રમ - ભારતીય હેતુઓ માટે દૂરંદેશીપણાનો અભાવ - મુસ્લિમોએ કરેલ સતત હુલ્લડો અને રક્તપાતથી ઉભી કરવામાં આવેલ ગૃહ યુદ્ધની બીક - સર્વ મતપંથ સરખા ગણવાની સદગુણ વિકૃતિ એટલે કે ભોળી ભાવના - એક તરફી મુસ્લિમ "તુષ્ટિકરણ" ઈત્યાદિ અન્ય કારણોથી ભારતનું જેહાદી "પંથ" માટે એકપક્ષીય એકમાર્ગીય કરૂણ વિભાજન થયું જે ગૃહ યુદ્ધ કરતાં પણ વધુ હત્યાઓ અને અત્યાચારોથી ખરડાયું. અહિંસાએ હિંસા કરતાં પણ વધુ જીવોનો ભોગ લીધો. અને આજે તો તે “પાકિસ્તાન”નું વધુ વરવું રાક્ષસી, આતંકી અને આણ્વિક રૂપ મોં ફાડીને આપણી સામે ઊભું થયું છે જેની પાછળ ગોરા ઉપનિવેશવાદીઓ ઉપરાંત ચીની કમ્યુનિસ્ટો અને ભારતની અંદરના દ્રોહીઓ પણ સક્રિય છે. (ભારતની કોંગ્રેસના નેતૃત્વએ તો પાકિસ્તાનનું આવું અત્યંત આતંકી અને ઘાતક રૂપાંતર થશે કે નેહરુ શાસન કોંગ્રેસ અને દેશ માટે વંશવેલાના શાસન જેવા શાસનમાં પલટાઈ જશે કે દેશમાં કોંગ્રેસ કટોકટી લાદીને લોકતંત્રનું ગળું દબાવી દેશે તેવું વિચાર્યું પણ નહીં હોય. દૂરંદેશીપણાનો અભાવ કેવો ભયંકર નીવડે છે તેનો આ દાખલો છે. મહર્ષિ અરવિંદે જો કે વિભાજન ચાલુ રહેશે તો તે ભયંકર હશે તેમ અગમવાણી કરી હતી. તેમણે અખંડ ભારત શાંતિ માટે અનિવાર્ય છે તેમ પણ યોગ્ય રીતે જ કહ્યું હતું.) (આની સામે અમેરિકાનું દૃષ્ટાંત જુઓ કે જેણે અબ્રાહમ લિંકનના દૂરંદેશી નેતૃત્વમાં ગૃહ યુદ્ધ વેઠી લીધું પણ દેશનું વિભાજન ન થવા દીધું. તેમનું માનવું હતું કે વિભાજન એ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ વિભાજન તો સમસ્યાને નિત્ય માટે સાધનોથી સજ્જ કરી ઊભી રાખવાની મૂર્ખતા છે. મુસ્લિમ સમસ્યાથી થતું વિભાજન તો વધુ વિઘાતક હોય છે તે ઈઝરાયલના વિભાજનથી બનેલ પેલેસ્ટાઈન ગાઝામાં આપણે જોઈ શકીએ છીએ. ઈઝરાયલ ઘણું સહન કર્યા પછી હવે પૂરી આક્રમકતાથી લડે છે તે સાચું છે પણ અનેક યહૂદીઓને અને અન્ય ઈઝરાયેલીઓને બલિદાન આપવું પડ્યું છે.) આપણે મૂળ વાત પર આવીએ અને વિગતવાર જોઈએ કે પાકિસ્તાન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. મુસ્લિમ લીગે કેવી રીતે પાકિસ્તાન મેળવ્યું? મુસ્લિમ લીગે માત્ર ૪૧ વર્ષમાં પોતાનું એક ટીપું લોહી આપ્યા વિના કોઈ યુદ્ધ લડ્યા વિના માત્ર હુલ્લડો કરીને આપણા લાખો ભારતીયોના નૃશંસ હત્યાકાંડ અને વંશ નિકંદન પછી આપણા પૂર્વજોના રકતરંજિત મૃતદેહો પર, અમાનવીય અત્યાચારોથી પીડિત આપણી બહેનો અને આપણા કરોડો વિસ્થાપિત ભારતીય પરિવારોના આંસુઓ અને નિઃસાસાઓ ઉપર થઈને જેહાદી આતંકી "પાકિસ્તાન" લીધું. (અને આજે પણ સીમા પારથી અને સીમા અંદર કેટલાંક વિસ્તારોમાંથી એવું સંભળાય છે કે "હંસ કે લિયા હૈ પાકિસ્તાન, લડ કે લેંગે હિન્દુસ્તાન"...) ડીસેમ્બર ૧૯૦૬ - મુસ્લિમ લીગ સ્થાપના મુસ્લિમ લીગ બનાવવામાં આવી. આગાખાન તેના પ્રમુખ બન્યા. ભારત વિભાજનની દિશામાં પ્રથમ પગલું એટલે મુસ્લિમો માટે પૃથક નિર્વાચન મંડળો / મુસ્લિમ બેઠકો / સંસદીય કે વૈધાનિક સભાઓમાં મુસ્લિમ આરક્ષણ માટે માંગણી કરી. બીજું પગલું એટલે બંગાળના વિભાજન વિરુદ્ધ ચાલતી બંગ ભંગ વિરોધી ચળવળનો વિરોધ કર્યો. મુસ્લિમ લીગમાં પ્રથમ અધિવેશનમાં જ "લાલ ઈશ્તેહાર" નામની પત્રિકા આપવામાં આવી જેમાં આપણા ભારતીયો અને હિંદુઓના વિરોધમાં ઝેર ઓકવામાં આવેલ હતું. અને તે વાંચીને ઘણાં મુસ્લિમોએ ઠેર ઠેર હુલ્લડો કર્યાં હતાં. એટલે મુસ્લિમ લીગની લડાઈ પહેલેથી જ બ્રિટિશ આક્રમકો સામે નહીં પણ ભારત અને ભારતીયો સામે જ રહી હતી. ૧૯૧૪ - મુસ્લિમ લીગ માત્ર મુસ્લિમોની માંગણી માટે, ભારતની સ્વતંત્રતા માટે નહીં મુસ્લિમ લીગના અધિવેશનોમાં આપણા કોંગ્રેસના નેતાઓ જવા લાગ્યા. લીગ સાથે સમજૂતી કરી ભારતની સ્વાધીનતા માટે બન્ને સાથે મળીને અંગ્રેજી ઉપનિવેશવાદ સામે લડે તે માટેના કોંગ્રેસના પ્રયાસોનો દુરુપયોગ કરીને લીગ પોતે શક્તિશાળી બનતી રહી, મુસ્લિમોની માંગણીઓ જ આગળ કરતી રહી. ભારતની સ્વાધીનતા સાથે તેને કોઈ લેવાદેવા નથી, માત્ર મુસ્લિમોની માંગણીઓ જ તેના માટે મહત્ત્વ ધરાવે છે તેવું વલણ લીધું. મુસ્લિમ લીગ સર્વસામાન્ય મુસ્લિમોમાં અને અંગ્રેજી આક્રાંતાઓમાં પ્રભુત્વ ધરાવતી થઈ ગઈ. અંગ્રેજોને તો “ભાગલાં પાડો અને રાજ કરો”ની તેમની કૂટનીતિમાં મુસ્લિમોનું જેહાદી માનસ જોઈતું’તું ‘ને વૈદ્યે બતાવ્યું કે દોડવું’તું ‘ને ઢાળ મળી ગયો તેમ કામે લાગી ગયું. ૧૯૧૬ - લખનઉ સમજૂતી લખનઉમાં મુસ્લિમ લીગ અને કોંગ્રેસના એક સાથે અધિવેશન થયા. તેમાં અલગ મુસ્લિમ આરક્ષણ / મતદાતા મંડળો માટે સમજૂતી થઈ. વસ્તી કરતાં પણ વધુ બેઠકો ફાળવવામાં આવે તેવી માંગ મુસ્લિમ લીગ કરતી રહી અને સમજૂતીમાં તે અનુસાર બેઠકો ફાળવવા માટે પ્રાવધાન કરવામાં આવ્યું. પંડિત મદનમોહન માલવીય એ તે સમયના એક માત્ર નેતા હતાં જેમણે આ સમજૂતીનો વિરોધ કર્યો હતો. ૧૯૧૮ - ખિલાફતની આફત ભારતના સ્વાતંત્ર્ય સાથે જેનો કોઈ સંબંધ નહોતો તેવા ખિલાફત વિષય પર મુસ્લિમો અને મુસ્લિમ લીગ ચળવળ કરવા માટે આગળ વધ્યાં. તુર્કીના ખલીફાને અંગ્રેજી ઉપનિવેશવાદી શાસને હટાવ્યા તેનો ભારતમાં મુસ્લિમોએ વિરોધ કર્યો. અને કોંગ્રેસ પણ તેમાં મુસ્લિમો સાથે એકતા કરવાની મૃગ મરીચિકામાં ફસાઈને જોડાઈ પણ મુસ્લિમ લીગે તો તેની કોઈ નોંધ લીધા વિના પોતાનો અલગતાવાદી રાગ આલાપ્યા કર્યો. રવીન્દ્રનાથ ટાગોર, એની બેસંટ અને વિજય રાઘવાચારી - આ ત્રણ નેતાઓએ ખિલાફતમાં જોડાવાના કોંગ્રેસના નિર્ણયનો યોગ્ય રીતે વિરોધ કર્યો હતો. ૧૯૧૯ - જલિયાંવાલા બાગ હત્યાકાંડ આ એક એવી ઘટના હતી કે જેનો વિરોધ દેશવિદેશમાં લગભગ બધાંએ એક જ સ્વરમાં કર્યો હતો. રોલેટ એક્ટ વિરુદ્ધ પ્રતિકાર સભામાં આ અમાનવીય હત્યાઓ થઈ. પરંતુ આ જઘન્ય હત્યાકાંડ વિશે પક્ષ અને વિરોધ એમ મુસ્લિમ લીગમાં બે ભાગ પડી ગયાં હતાં. પંજાબ મુસ્લિમ લીગે આ હત્યાકાંડની નિંદા કરવાનું પણ ટાળ્યું હતું. ડૉ સૈફુદ્દીન કિચલુની ધરપકડ અંગ્રેજોએ કરી હતી એટલે આ સ્થળે સભામાં સામ્યવાદી અને પ્રગતિશીલ વિચારો ધરાવતાં કેટલાંક મુસ્લિમો પણ હતાં. તેમ છતાં પંજાબ મુસ્લિમ લીગ બ્રિટિશ આક્રાંતાઓ અને હત્યારાઓના પક્ષમાં રહી હતી. બલિદાનીઓમાં મુસ્લિમો પણ હતાં એટલે મુસ્લિમ લીગના અન્ય નેતાઓએ અમૃતસર જઈને આ ઘૃણિત કુકૃત્યને વખોડ્યું હતું, પણ પંજાબ મુસ્લિમ લીગ તેમ છતાં પણ તેના વલણમાં અક્કડ રહી હતી. ૧૯૨૧ - મોપલા હત્યાકાંડ કેરલમમાં મુસ્લિમ સમુદાયમાં કેટલાંક તત્ત્વો દ્વારા એવી વાત જાણી જોઈને ફેલાવવામાં આવી કે ખિલાફતની સ્થાપના થઈ ગઈ છે. એટલે મુસ્લિમ સમુદાયના છાકટા થયેલ મોપલાઓએ આપણા સ્થાનિક ભારતીય હિંદુ લોકોને લક્ષ્ય બનાવી મોટા પાયે રકતરંજિત હુલ્લડ કર્યાં. આપણા ૧૫૦૦થી વધુ લોકોની હત્યા થઈ અને ૨૦૦૦થી વધુ લોકોને બળપૂર્વક મુસ્લિમ બનાવવામાં આવ્યા. મુસ્લિમ લીગ દ્વારા પ્રેરિત વારંવાર થતાં હુલ્લડોમાં આ હત્યાકાંડ જઘન્યતાનું નવું માપ બની ગયો. કોંગ્રેસ આ હત્યાકાંડ વિશે મુસ્લિમો નારાજ થશે એમ વિચારીને સ્પષ્ટ વલણ ન લઈ શકી. ૧૯૨૬ - સ્વામી શ્રદ્ધાનંદ હત્યા અબ્દુલ રશીદ નામના મુસ્લિમે સ્વામી શ્રદ્ધાનંદની હત્યા કરી. સ્વામીજી મુસ્લિમોને પુનઃ તેમના મૂળ ધર્મમાં લાવવા માટે શુદ્ધિ આંદોલનનું સુધારાત્મક કાર્ય કરતાં હતાં. ઘણાં મુસ્લિમોએ પુનઃ હિંદુ બનવાનું સ્વીકાર્યું એટલે તેનાથી વિચલિત થઈને તેમની હત્યા કરવામાં આવી અને હત્યારાને ફાંસી થઈ તો લીગી મુસ્લિમોએ તેને શહીદ કહેવાનું ચાલુ કર્યું. ૧૯૨૧થી ૧૯૩૭ મુસ્લિમ લીગે ભારત અને ભારતીયતાના વિરોધને જ પોતાનું કાર્ય બનાવ્યું, બ્રિટિશ ઉપનિવેશ વાદીઓનો વિરોધ ન કર્યો, ઉલટું તેમના હાથા બનવાનું સ્વીકાર્યું મુસ્લિમ લીગે વંદે માતરમ્ નારાનો અને ગીતનો વિરોધ કર્યો. ભગવા ધ્વજનો વિરોધ કર્યો. હિંદી ભાષાનો વિરોધ કર્યો. ગૌહત્યા કરવા માટે મુસ્લિમોને ઉશ્કેર્યા અને ગૌહત્યા બંધી માટેના પ્રયાસોનો વિરોધ કર્યો. ગણેશોત્સવ અને અન્ય ઉત્સવોના શોભાયાત્રા જેવા કાર્યક્રમોનો વિરોધ કર્યો. મુસ્લિમ લીગે શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ જેવા દેશભક્તોનો પણ વિરોધ કર્યો. સતત અને સખત હિંદુ વિરોધ અને તેના પગલે સતત હુલ્લડો એ જ મુસ્લિમ લીગનો કાર્યક્રમ બની ગયો. મુસ્લિમ લીગની લડાઈ મહદ્અંશે ભારતીયો અને ભારતીયોના માનબિંદુઓ સામે જ ચાલ્યા કરતી હતી. અંગ્રેજો સાથે મોટા ભાગે તેની સાંઠગાંઠ ચાલતી હતી. મુસ્લિમ લીગને એવું સિદ્ધ કરવું હતું કે અંગ્રેજો જતાં રહે તો પછી મુસ્લિમો હિંદુઓ સાથે "એક દેશ એક શાસન" નીચે નહીં રહે. આમ મુસ્લિમ લીગ કે મુસ્લિમ સમુદાયનું ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન શૂન્ય હતું એટલું જ નહીં તો નકારાત્મક હતું, વિભાજક અને વિઘાતક હતું. (વ્યક્તિગત દેશભક્ત મુસ્લિમોના યોગદાનને આપણે નકારતાં નથી, પણ તેમની સંખ્યા બહુ ઓછી હતી.) ૧૯૨૭ - ચાર સૂત્રી માંગથી ચૌદ સૂત્રી માંગ જિન્નાએ ચાર સૂત્રોની માંગ રજૂ કરી. સિંધને મુંબઈથી અલગ કરવું એટલે કે મુંબઈ પ્રાંતનું વિભાજન કરવું, પશ્ચિમોત્તર સીમા પ્રાંત અને બલુચિસ્તાનને પૂર્ણ પ્રાંતનું રૂપ આપવું, પંજાબ અને બંગાળમાં મુસ્લિમ બેઠકો વધારવી અને કેન્દ્રમાં વિધાન મંડળમાં ૩૩ ટકા મુસ્લિમ હોવાં જોઈએ તેમ માંગણી કરી. એમાંની ત્રણ માંગો કોંગ્રેસે સ્વીકારી તો એણે ૧૯૨૮માં ૧૪ માંગણીઓ મૂકી જેમાં એમ કહ્યું કે મુસ્લિમ એ માત્ર એક સમુદાય નથી પણ એક અલગ દેશ છે અને તેને માટે એ રીતના બધાં પ્રાવધાન કરવામાં આવે. ૧૯૩૦ મુસ્લિમ રાજની માંગ મહમ્મદ ઈકબાલે મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમ રાજ ધરાવતાં અલગ વિસ્તારની / દેશની માંગણી કરી, જ્યારે કોંગ્રેસે લાહોરમાં રાવી નદીના તટે પૂર્ણ સ્વરાજની માંગ કરી હતી. ૧૯૩૧ પાકિસ્તાનની માંગ ગોળમેજી પરિષદમાં મુસ્લિમ પ્રતિનિધિ તરીકે આગાખાન અને કાંગ્રેસમાંથી ગાંધીજી હતાં. અંગ્રેજોના કહેવાથી મુસ્લિમ યુવાનોએ પાકિસ્તાન (પંજાબ નામમાંથી અંગ્રેજી અક્ષર પી, અફઘાનિસ્તાનનો એ, કાશ્મીરનો કે, સિંધનો એસ અને બલુચિસ્તાનમાંથી તાન) શબ્દ વહેતો કર્યો અને અલગ મુસ્લિમ દેશની માંગણી કરી. ૧૯૩૨ કમ્યુનલ એવોર્ડ - બ્રિટિશ કૂટનીતિ આક્રાંતા અંગ્રેજોએ કમ્યુનલ એવોર્ડ આપ્યો જેમાં જિન્નાની ૧૪ માંગો સ્વીકારી અને મુસ્લિમ અંગ્રેજ સાંઠગાંઠ કેવી ભયંકર રીતે ચાલે છે તેનું પ્રમાણ આપ્યું. ૧૯૩૫ - ભારત અધિનિયમમાં મુસ્લિમોને આગળ કરતા અંગ્રેજો ભારત શાસન અધિનિયમ બનાવી અંગ્રેજોએ કમ્યુનલ એવોર્ડને આગળ વધારતાં કેન્દ્રીય મંત્રીમંડળમાં મુસ્લિમોને ૧/૩ સ્થાન ફાળવી આપ્યાં. સરકારી નોકરીઓમાં ૨૫ ટકા આરક્ષણ ફાળવવામાં આવ્યું. ૧૯૩૭ - પ્રાંતોની ચૂંટણી ઉપર જણાવ્યું તે અધિનિયમના આધારે કાર્યવાહી કરતાં પ્રાંતોમાં ચૂંટણી કરવામાં આવી. આ સમયે રજવાડાં પૈકી મોટા ભાગના રજવાડાં ભારતીય રાજવીઓ દ્વારા શાસિત, ૧૦ ટકા રજવાડાં જ મુસ્લિમ આક્રાંતાઓના અનધિકૃત કબજામાં, બ્રિટિશ આક્રાંતાઓ પાસે કેન્દ્ર અને ૧૧ પ્રાંતોની અનધિકૃત સત્તા જેમાં ૧૧ પ્રાંતોમાં ચૂંટણીઓ યોજાઈ. મુસ્લિમ લીગનું આ ચૂંટણીઓમાં સમૂળ ધોવાણ થઈ ગયું. મુસ્લિમોના પડેલ મતો પૈકી પણ માત્ર ૪.૮ ટકા મત તેને મળ્યાં હતાં. ૧૫૮૫ બેઠકો પૈકી મુસ્લિમ બેઠકો ૪૯૨ હતી, જેમાં નોંધાયેલ ૩ કરોડ મતદાતા હતાં જે કુલ મુસ્લિમ વસ્તીના માત્ર ૧૧ ટકા થાય, ચૂંટણી વ્યવસ્થા બ્રિટિશ આક્રાંતા તંત્ર દ્વારા કરાઈ હતી. મુસ્લિમ લીગને ૪૯૨ મુસ્લિમ બેઠકોમાંથી માત્ર ૧૦૯ (૨૨% બેઠકો) મળી, પરંતુ સત્તા તો ૧૧ પૈકી એક પણ પ્રાંતમાં ન મળી. કોંગ્રેસ ૮ પ્રાંતોમાં સત્તામાં આવી. ૩ પ્રાંતોમાં સ્થાનિક પાર્ટીઓ સત્તામાં આવી. એટલે આટઆટલા હુલ્લડો કર્યાં પછી અને બ્રિટિશ ગોરા ઉપનિવેશવાદીઓની સાંઠગાંઠ છતાં લોકોએ મુસ્લિમ લીગને નકારી હતી. ૪૯૨ મુસ્લિમ બેઠકો પૈકી ૨૬ બેઠકો કોંગ્રેસ જીતી હતી અને અન્ય બેઠકો અપક્ષો અને સ્થાનિક પાર્ટીઓએ જીતી હતી. ૧૯૩૭ની આ સ્થિતિ પ્રમાણે પણ ભારત વિભાજન કરીને અલગ પાકિસ્તાન આપવા માટે કોઈ કારણ નહોતું બનતું. પણ આ પછીના માત્ર ૧૦ વર્ષોમાં મુસ્લિમ લીગ દ્વારા બ્રિટિશ સાંઠગાંઠમાં વધુ છળકપટ અને વધુ રકતરંજિત હુલ્લડો કરીને પાકિસ્તાન ઝૂંટવવામાં આવ્યું. ૧૯૩૮ - ૩૯ મુસ્લિમ લીગનો ભારત, કોંગ્રેસ અને હિંદુ વિરોધી દુષ્પ્રચાર મુસ્લિમ લીગે કોંગ્રેસ શાસિત પ્રાંતોમાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે તેવો હળાહળ અસત્ય અને ભ્રામક પ્રચાર કર્યો. ૧૯૩૮ પીરપુર અહેવાલ, ૧૯૩૯ શરીફ અહેવાલ અને ૧૯૩૯ ફઝલુલ અહેવાલ જેવા ખોટાં આધારહીન અહેવાલો બનાવી કોંગ્રેસ રાજ એટલે હિંદુ રાજ કે જેમાં મુસ્લિમો પર અત્યાચાર થયાં છે તેવી ખોટી વાતો પ્રસારિત કરી. બીજી બાજુ ૧૯૩૯થી ચાલુ થયેલ દ્વિતીય યુરોપીય યુદ્ધ નિમિત્તે મુસ્લિમ લોકોને બ્રિટિશ સેનામાં મોટા પાયે જોડવામાં આવ્યા. મુસ્લિમ લીગે ફરી બે માંગો મૂકી - કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મુસ્લિમોને ન્યાય મળે, ભારતનું બંધારણ મુસ્લિમોની સંમતિ વિના ન બને. કોંગ્રેસ જ્યારે અંગ્રેજોની ચાલ વિરુદ્ધ આંદોલન કરવા માટે વિચાર કરી પ્રાંતોની સરકારોમાંથી નીકળી ગઈ તો મુસ્લિમ લીગે અંગ્રેજોની સાથે મળીને ચાર પ્રાંતોમાં સત્તા કબજે કરી લીધી અને ત્યાં ભયાનક હુલ્લડો કર્યાં. ૧૯૪૦ - અલગ મુસ્લિમ દેશની માંગ મુસ્લિમ લીગના લાહોર અધિવેશનમાં અલગ મુસ્લિમ દેશની માંગણી કરવામાં આવી. ૧૯૪૨ કોંગ્રેસ જ્યારે "ભારત છોડો" આંદોલન કરતી હતી તો મુસ્લિમ લીગે અંગ્રેજોની સાથે રહી તેનો વિરોધ કર્યો, એમ કહ્યું કે "ભારત વિભાજન કરો". ૧૯૪૩થી ૧૯૪૬ - મુસ્લિમ હુલ્લડો મુસ્લિમ લીગે કોંગ્રેસના નેતાઓ જેલમાં હતાં તેવે સમયે બ્રિટિશ સત્તાની સહાયથી હુલ્લડો કર્યાં. કોંગ્રેસની બધી જ પહેલોનો ઘોર વિરોધ કર્યો. ૧૯૪૪માં ગાંધી જિન્ના વચ્ચે ૧૯ દિવસ ચાલેલ મંત્રણા નિષ્ફળ રહી જેમાં જિન્નાને વડાપ્રધાન બનાવવા સુધીની વાત થઈ હોવાનું કહેવાય છે. કેમ કે બ્રિટિશ સત્તા એ જિન્નાને પાકિસ્તાન મળી જવાનું કહેલું હતું. ૧૯૪૪માં ફરી કોંગ્રેસે મુસ્લિમ લીગને મનાવવા પ્રયાસ કર્યો પણ બ્રિટિશ પીઠબળ ધરાવતી મુસ્લિમ લીગ ટસની મસ ન થઈ. ૧૯૪૫માં અંગ્રેજી આક્રાંતા શાસક વેવેલ દ્વારા મુસ્લિમોને અનુકૂળ એવી અંતરિમ સરકારના ગઠનની "યોજના" બનાવી જેમાં કોંગ્રેસ દ્વારા મંત્રીઓના નામો ઘોષિત થયેલાં તે જોતાં મુસ્લિમ લીગના નામો સાથે ૧૪ પૈકી ૭ મંત્રીઓ મુસ્લિમો બનતાં હતાં તેમ છતાં જિન્નાએ તે "યોજના"નો વિરોધ કર્યો કેમ કે તેને પાકિસ્તાન મળવાની ખાત્રી થઈ ગયેલ હતી. ૧૯૪૫ - ૪૬ ફરી ચૂંટણીનું નાટક આ સમયે બ્રિટિશ સત્તાએ ફરી ચૂંટણીનું નાટક કર્યું. આ વેળા ખુલ્લેઆમ મુસ્લિમ લીગને જીતાડવા માટે બ્રિટિશ સત્તા કામે લાગેલ હતી કેમ કે તેમને પાકિસ્તાન બનાવી સોવિયેત સંઘ સામે પાકિસ્તાનમાં સેનાનું થાણું કરવું હતું. બીજા યુરોપીય યુદ્ધમાં અહીંથી મુસ્લિમોની મોટા પાયે બ્રિટિશ સેનામાં ભરતી કરવામાં આવી હતી. કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ ૧૯૪૨થી ૧૯૪૫ સુધી જેલમાં હતા જ્યારે મુસ્લિમ લીગને બ્રિટિશ સત્તાએ અનેક સુવિધાઓ, પેટ્રોલ કુપન અને નાણાં પણ પૂરા પાડ્યા હતાં. આ વખતની ચૂંટણીમાં અલગ મુસ્લિમ મતદાર મંડળો સાથે મત અપાયા જેમાં ૪૯૨ પૈકી ૪૪૦ બેઠકો પર મુસ્લિમ લીગને જીતાડવામાં આવી. મુસ્લિમ લીગે ચૂંટણીમાં પાકિસ્તાન વિષય ચગાવ્યો હતો. જો કે કોંગ્રેસે ફરી ૨૬ મુસ્લિમ બેઠકો જીતી, પણ સ્થાનિક પક્ષો અને અપક્ષો હારી ગયાં અને મુસ્લિમ લીગે બંગાળ અને સિંધમાં સત્તા કબજે કરી. કેન્દ્રમાં પ્રથમ વાર ચૂંટણી થઈ જેમાં ૩૦ મુસ્લિમ બેઠકો પૈકી ૩૦ પર મુસ્લિમ લીગને જીતાડવામાં આવી. અનેક બ્રિટિશ સત્તાધીશોએ ખુલ્લેઆમ મુસ્લિમ લીગને જીતાડવા માટે કામ કર્યું હતું. નવાબો, જાગીરદારો, ઉલેમાઓ અને પૈસેટકે સુખી હોય તેવા મુસલમાનો જ મતદાતા સૂચિમાં રાખવામાં આવેલા. પાકિસ્તાન માટેનો આધાર આ રીતે છળકપટ કરીને બનાવવામાં આવ્યો. કોંગ્રેસનું નેતૃત્વ આ કપટ ચાલ સમજી ન શક્યું અને સમજ આવી ત્યારે ભયંકર હુલ્લડો ૧૯૪૬માં "ડાયરેકટ એક્શન"ના નામે કરવામાં આવ્યા જેથી નેતૃત્વ સહમી ગયું, ડરી ગયું. ૧૯૪૬ નૌસેનામાં સૈનિકોએ ભારતની સ્વતંત્રતા માટે રણશિંગુ ફૂંક્યું તે સાથે જ અંગ્રેજી ફફડી ઊઠ્યા અને કેબિનેટ મિશન અંતર્ગત હિંદુ બહુલ અને મુસ્લિમ બહુલ પ્રાંતો બનાવ્યા. જેનો પણ છેવટે મુસ્લિમ લીગે વિરોધ કરી પાકિસ્તાનની માંગ આગળ કરી. બ્રિટિશ સત્તા અને પ્રાંતોમાં મુસ્લિમ સત્તાની સાંઠગાંઠમાં ભયાનક મુસ્લિમ હુલ્લડો થયાં જેમાં આપણા હિંદુઓ ભારતીયોની નિર્મમ મારકાટ થઈ. ૨ સપ્ટેમ્બર ૧૯૪૬ કોંગ્રેસના મુસ્લિમ નેતા શફાઉત અહમદ ખાન કે જેને નેહરુએ અંતરિમ સરકારના કેબિનેટ મંત્રી તરીકે ઘોષિત કર્યા હતા તેમની અહેવાલો પ્રમાણે મુસ્લિમ લીગથી પ્રભાવિત બે મુસ્લિમ યુવકો દ્વારા સાત વાર છરીના ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડી જે પછી થોડા સમય બાદ તેઓનું મૃત્યુ થયું. મુસ્લિમ લીગે કાળા ઝંડા ફરકાવી કોંગ્રેસ અને અંતરિમ સરકારનો વિરોધ કર્યો. અંતે મુસ્લિમ લીગ અંતરિમ સરકારમાં જોડાઈ પણ તેણે હુલ્લડો ચાલુ રાખ્યાં. સંવિધાન સભાનો બહિષ્કાર પણ ચાલુ રાખ્યો. આ સમયે એક માત્ર પુરુષોત્તમદાસ ટંડને કોંગ્રેસના અધિવેશનમાં વિભાજનના પ્રસ્તાવનો વિરોધ કરેલો જેને સભામાં તાળીઓના અભૂતપૂર્વ ગડગડાટથી સૌએ વધાવેલ પણ મતદાન વખતે નેતૃત્વએ કરેલ આંતરિક દબાણથી વિભાજનના પક્ષમાં વધુ મત પડયા. ૧૯૪૭ - ભારત વિભાજન વેવેલ પરત ગયો, માઉન્ટબેટન તેના સ્થાને આવ્યો. તેણે ગાંધીજી અને નેહરુને ગૃહ યુદ્ધ થશે તેવી ચેતવણી આપી. મુસ્લિમ લીગના મુસ્લિમ ગાર્ડ વિખેરી નાંખવાની જિન્નાએ ના પાડી. બ્રિટિશ સરકારે પ્રાંતો અને રજવાડાંમાં અરાજકતા થાય તેવી "યોજના" વહેતી કરી દબાણ ઊભું કર્યું, બીજી બાજુ મુસ્લિમ લીગના હુલ્લડો વધતાં રહ્યાં. છેવટે છળકપટથી ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે બન્યું પાકિસ્તાન. ૧૮૫૭થી ૧૯૪૭ પર્યંત અનેક ભારતીય ક્રાંતિકારીઓએ આપેલ બલિદાન અને નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં આઝાદ હિન્દ ફોઝના અનેક સૈનિકોના બલિદાન અને નૌસૈનિકોના બલિદાન પછી ૧૫ ઓગસ્ટ ભારત ખંડિત થવા સાથે સ્વતંત્ર થયું. પણ કરોડો ભારતીય પરિવારો વિસ્થાપિત થયાં. લાખો ભારતીયોની હત્યા થઈ. ભારતીય બહેનો પર ભયંકર અત્યાચાર થયાં. જે ક્રમ વિભાજન પછી પણ આતંકવાદ અને હુલ્લડો થકી ચાલુ રહ્યો. ૨૦૨૬ ઓપરેશન સિંદૂર ૧૩૦૦ વર્ષોના રક્તપાત પછી અને સ્વતંત્રતાના ૮૦ વર્ષ થયાં છે ત્યારે, છેલ્લાં એક દાયકાથી ભારતમાં સત્તામાં આવેલ રાષ્ટ્રવાદી સરકારે હવે આ વિષયમાં યોગ્ય વલણ અપનાવ્યું છે. ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯માં યુદ્ધ થયાં જે સિદ્ધ કરે છે કે વિભાજનથી મુસ્લિમ સમસ્યા ઉકેલાઈ નથી પણ વધુ વકરેલ છે. ૧૯૭૧ કૃત્રિમ પાકિસ્તાનનું વિભાજન થયું, ૧૯૯૮ પાકિસ્તાન દ્વારા ચોરી કરીને આણ્વિક શસ્ત્રોનો પ્રયોગ થયો તે મોટી ઘટનાઓની સાથે અવાર નવાર આતંકી હુમલાઓ પાકિસ્તાનમાંથી થતાં રહ્યાં. ભારતના તત્કાલીન નેતાઓ ગૃહયુદ્ધની જેમ આણ્વિક શસ્ત્રોનો સંદર્ભ આપી માત્ર નિંદા પ્રસ્તાવો કરતાં રહ્યાં, ડોસિયર આપતાં રહ્યાં. ૧૩૦૦ વર્ષો પછી સામ અને દામ નિષ્ફળ ગયા બાદ રાષ્ટ્રવાદી નેતૃત્વમાં નૂતન ભારતે ઓપરેશન સિંદૂરની દંડ અને ભેદની નીતિ અપનાવી છે. અને ઘોષણા પણ કરી છે કે આણ્વિક શસ્ત્રો કે ગૃહ યુદ્ધથી અમે ડરતાં નથી, આતંકી જેહાદી કુકૃત્યોનું અત્યંત ભારે મૂલ્ય આ પાકિસ્તાની તત્વોએ ચૂકવવું પડશે, અને વધુમાં કહ્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા સાથે ઓપરેશન સિંદૂર ચાલુ રહેશે. લાગે છે કે ભારતીય ઉપખંડ હવે મુસ્લિમ સમસ્યાથી મુક્ત થશે. અહીં રહેતાં મુસ્લિમોનું પણ સાચું હિત તેમાં જ છે તે નિઃશંક છે. જય હિંદ. છેલ્લે છેલ્લે… ભારત વિભાજનનું પાપ કોણે કર્યું? અખંડ ભારતની પુનઃસ્થાપના કોણ કરશે? આપણામાંથી અંદરથી વિભાજનનું દાયિત્વ કોનું તે જોઈએ તો સ્વાતંત્ર્ય સંગ્રામ કોંગ્રેસ લડી એવો દાવો છે, તો આપણામાંથી અંદરથી વિભાજનનું દાયિત્વ કોંગ્રેસનું એમ સૌએ સ્વીકારવું રહ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વતંત્રતાની લડાઈ નહોતો લડ્યો તેમ ખોટેખોટું (કેમ કે સંઘ તેની બાલ્યાવસ્થામાં હતો તો પણ સંઘ પ્રમુખ સહિત અનેક સ્વયંસેવકો શક્તિ પ્રમાણે ક્રાંતિકારી ચળવળ અને અહિંસક ચળવળ બંનેમાં લડ્યા હતાં) કહેવાવાળા યાદ રાખે કે અખંડ ભારત પ્રેરિત અને સાકાર થવાનું જ છે અને એ અન્ય અનેક સંગઠનો સાથે મળીને સંઘ અને સંઘ પ્રેરિત અનુષ્ઠાનો દ્વારા જ થશે. ભારતમાતા કી જય.- Aug 27, 2026
- YagnaSri
